fbpx

પાંચમી ઓગસ્ટથી બુધ વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે?

પાંચમી ઓગસ્ટથી બુધ વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે?

વાણી, કોમ્યુનિકેશન, સોશિયલ મીડિયા, લેખન-વાંચન, બિઝનેસ, શેરબજાર વગેરેનો કારક ગ્રહ ગણાતો બુધ પાંચમી ઓગસ્ટથી વક્રી થશે. તે 29મી ઓગસ્ટ સુધી વક્રી રહેશે. કોઈ પણ ગ્રહ વક્રી થાય ત્યારે તેની ફળ આપવાની તીવ્રતા અનેક ગણી વધી જાય છે. સૌપ્રથમ એ જોઈએ કે સંસ્કૃત ગ્રંથોમાં વક્રી બુધ વિશે શું કહ્યું છે?

“वक्री बुधः शान्तिमयः प्रज्ञावानः सुखी भवेत्।
अर्थधर्मविचाराश्च विवाहकराणि च॥”
બૃહત્પરાશર હોરાશાસ્ત્રના આ શ્લોક પ્રમાણે, ‘વક્રી બુધ શાંતિમય અને પ્રજ્ઞાવાન હોય છે, અને તે સુખી રહે છે. તે અર્થ (ધન) અને ધર્મના વિષયો પર વિચાર કરે છે અને લગ્ન કરાવવાની ક્ષમતા ધરાવે છે.’

“बुधो वक्री यदासीत्त्वा योद्धा विद्वान्दम्यसहः।
सर्जकश्च विदाग्द्यश्च सत्यवाक्योपदेशकः॥”
ફળદીપિકા ગ્રંથ અનુસાર, ‘જ્યારે બુધ વક્રી હોય છે, ત્યારે તે વિદ્વાન, યોદ્ધા, દમનશીલ, સર્જનશીલ, વિદાગ્ધ (ગહન જ્ઞાન ધરાવતો) અને સત્ય વાણીવાળો ઉપદેશક બને છે.’

“वक्री बुधः कोपसहः शुचिः पण्डित उक्तिमान्।
अर्थधर्मनिश्चयकर्ता विचारविद् भवेत्॥”
જાતક પારિજાતના ઉક્ત શ્લોકનો અનુવાદ થાય છે કે, ‘વક્રી બુધ કોપ સહન કરી શકે છે, શુદ્ધ અને પંડિત હોય છે, તેમજ વિદ્વતાપૂર્ણ વાણી ધરાવે છે. તે ધન અને ધર્મના વિષયોમાં નિશ્ચય કરે છે અને વિચારશીલ બને છે.’

ઉપરના શ્લોક પરથી સ્પષ્ટ થાય છે કે વક્રી બુધ ધનને અસર કરે છે. તો શેરબજાર અને વેપાર પર વક્રી બુધની વિશેષ અસર જોવા મળશે. કોઈ પણ ગ્રહ વક્રી થાય એ પહેલા સ્થંભન અવસ્થામાં હોય છે. સ્થંભન અવસ્થાનો ગ્રહ વક્રી ગ્રહ કરતા પણ વધારે તીવ્ર પરિણામ આપે છે. 31મી જુલાઈએ સવારે આઠ વાગ્યાથી બુધ સ્થંભન અવસ્થામાં છે અને લગભગ પહેલી ઓગસ્ટથી વિશ્વભરના શેરબજાર તૂટવાના શરૂ થઈ ગયા. બુધ વક્રી હોય ત્યારે શેરબજારમાં વોલેટિલિટી વધી જાય છે.

બુધ વક્રી હોય ત્યારે વાણી પર સંયમ રાખવો જોઈએ. વાંચન અને અભ્યાસ વધારવો જોઈએ, કઠિન નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ અને સટ્ટાકીય પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ. બુધ વક્રી હોય ત્યારે સોશિયલ મીડિયા અને મેસેજિંગ સર્વિસ પર નકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે.

મેડિકલ એસ્ટ્રોલોજી પ્રમાણે બુધ મગજ, ચામડી, હાથ, કાન, જીભ, નર્વસ સિસ્ટમ, ફેફસાં અને શ્વાસ નળી સાથે જોડાયેલો ગ્રહ છે. બુધ વક્રી હોય ત્યારે આ બધી બાબતોમાં આરોગ્યના પ્રશ્નો ઊભા થઈ શકે છે.

બાર રાશિના જાતકો પર વક્રી બુધની શું અસર થશે તે જોઈએ.

મેષઃ તમારી કુંડળીમાં પાંચમા સ્થાનમાં બુધ વક્રી થશે. તે ત્રીજા અને છઠ્ઠા સ્થાનનો માલિક બને છે. બોલવાના કારણે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. સંતાનોની કાળજી લેવી. અભ્યાસમાં વધારે મહેનત કરવી. નવું સાહસ ટાળવું.

વૃષભઃ તમારી કુંડળીમાં બુધ ચોથા સ્થાનમાં વક્રી થશે. તે બીજા અને પાંચમા સ્થાનનો માલિક બને છે. ઘરમાં કોમ્પ્યુટર, મોબાઇલ કે લેપટોપ ખરાબ થઈ શકે. શેર-સટ્ટાથી દૂર રહેવું. માનસિક સ્ટ્રેસ રહી શકે છે. માનસિક અશાંતિ રહે.

મિથુનઃ તમારી કુંડળીમાં બુધ ત્રીજા સ્થાનમાં વક્રી થશે. તે પહેલા અને ચોથા સ્થાનનો માલિક બને છે. તમારે ટ્રાવેલિંગ થઈ શકે છે. તમે નવું સાહસ કરી શકો છો. જોકે આ બંને બાબતમાં તકેદારી રાખવી. તમે મિલકતનું વેચાણ કરી શકો છો.

કર્કઃ તમારી કુંડળીમાં બુધ બીજા સ્થાનમાં વક્રી થશે. તે ત્રીજા અને બારમા સ્થાનનો માલિક બને છે. બોલવા અને લખવામાં ધ્યાન રાખવું. નવું સાહસ ટાળવું. શેર-સટ્ટાની પ્રવૃત્તિથી દૂર રહેવું. કાન, હાથ કે વાણી સંબંધિત સમસ્યા થઈ શકે.

સિંહઃ તમારી કુંડળીમાં બુધ પ્રથમ સ્થાનમાં વક્રી થશે. તે બીજા અને 11મા સ્થાનનો માલિક બને છે. તમે કોઈ મોટો નાણાકીય નિર્ણય લઈ શકો છો. તમને આર્થિક લાભ થવાની સંભાવના છે. વાણી પર સંયમ રાખવો. પરિવારની કાળજી લેવી.

કન્યાઃ તમારી કુંડળીમાં બુધ બારમા સ્થાનમાં વક્રી થશે. તે પહેલા અને 10મા સ્થાનનો માલિક બને છે. જીવન અને કારકિર્દીમાં મહત્ત્વના ફેરફાર આવી શકે છે. લાંબા અંતરની યાત્રા થઈ શકે છે. તમે એકલા-એકલા બોલશો. મોબાઇલ કે કોમ્યુનિકેશનના સાધનો પર ખર્ચ કરશો.

તુલાઃ તમારી કુંડળીમાં બુધ 11મા સ્થાનમાં વક્રી થશે. તે નવમા અને બારમા સ્થાનનો માલિક બને છે. અચાનકથી કોઈ લાભ થશે. ભાગ્ય તમારો સાથ આપશે. વેપારમાં સફળતા મળે. તમારા જ્ઞાનને કારણે તમારું સન્માન થાય. તમે વધુ સામાજિક બનશો.

વૃશ્ચિકઃ તમારી કુંડળીમાં બુધ 10મા સ્થાનમાં વક્રી થશે. તે આઠમા અને 11મા સ્થાનનો માલિક બને છે. કારકિર્દીમાં અવશ્ય કોઈ લાભ થશે. કોઈ અચિવમેન્ટ મળી શકે. કાર્ય સ્થળ પર લોકો તમારી બુદ્ધિ અથવા વાણીથી પ્રભાવિત થશે.

ધનઃ તમારી કુંડળીમાં બુધ નવમા સ્થાનમાં વક્રી થશે. તે સાતમા અને 10મા સ્થાનનો માલિક બને છે. કારકિર્દી અર્થે લાંબા અંતરની યાત્રા થઈ શકે છે. તમે ભાગીદારી બિઝનેસમાં નવું સાહસ કરી શકો છો. ભાગ્ય તમારો સાથ આપશે. અભ્યાસમાં ઉન્નતિ થશે.

મકરઃ તમારી કુંડળીમાં બુધ આઠમા સ્થાનમાં વક્રી થશે. તે છઠ્ઠા અને નવમા સ્થાનનો માલિક બને છે. ઉચ્ચ અભ્યાસમાં ઉતાર-ચડાવ આવે. લાંબા અંતરની યાત્રા થાય. પિતાના આરોગ્યની કાળજી લેવી. ગુપ્ત સાધના અને રીસર્ચમાં રસ પડે.

કુંભઃ તમારી કુંડળીમાં બુધ સાતમા સ્થાનમાં વક્રી થશે. તે પાંચમા અને આઠમા સ્થાનનો માલિક બને છે. જીવનસાથી સાથે તમારો સંવાદ વધશે. તે વિવાદમાં ન પરિણમે તેનું ધ્યાન રાખવું. મહત્ત્વના નિર્ણયો લેવાનું ટાળવું. અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું.

મીનઃ તમારી કુંડળીમાં બુધ છઠ્ઠા સ્થાનમાં વક્રી થશે. તે ચોથા અને સાતમા સ્થાનનો માલિક બને છે. ભાગીદાર કે જીવનસાથી સાથે વાદ-વિવાદ ટાળવો. બળને બદલે કળથી કામ લેશો તો તમારો વિજય થશે. આરોગ્ય સાચવવું. સ્ટ્રેસથી બચવું.

Recent Post

નવમી ઓક્ટોબરથી ગુરુ વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે

बृहस्पतये नमः। पिंगो ग्रहपतिः श्रीमान् सुराचार्यः कृपानिधिः। जीवो देवगुरुः श्रीमान् सर्वशास्त्रविदाम् वरः।। ‘બૃહસ્પતિ કવચ’માં આ પ્રમાણે

Read More »
Scroll to Top